DJ તો બંધ નથી જ થવાનું..,’ અર્જુન-ગબ્બરના સમર્થનમાં વિક્રમ ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી!

By: Nation Gujarat Team
06 Feb, 2026
બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણનો મુદ્દો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. સમાજના બંધારણ મુજબ લગ્નપ્રસંગમાં DJ પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં લોક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એક કાર્યક્રમમાં DJમાં સિંગર તરીકે હાજરી આપ્યા બાદ, સમાજના બંધારણનો ભંગ કરવાના આરોપ સાથે આગેવાનોએ તેઓને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ મામલે પ્રખ્યાત લોક કલાકાર વિક્રમ ઠાકોર પણ તેમના સમર્થનમાં આવ્યા છે અને એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપતા ફરી એકવાર સમાજના રાજકારણમાં ગરમાવો વર્તાતો જોવા મળી રહ્યો છે.
વિગતે વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાનું આગવું બંધારણ બનાવ્યું છે. જેના નિયમો મુજબ, દેખાદેખી અને ભારે ભરખમ ખર્ચથી બચવા માટે સમાજના કોઈ પણ વ્યક્તિના ઘરે લગ્ન જેવા શુભપ્રસંગે DJ પર પ્રતિબંધ લાદ્યો છે. જોકે ઠાકોર સમાજે અપનાવેલા આ બંધારણનો માત્ર એક મહિનાના સમયમાં જ ભંગ થયો હોવાની ઘટના બનાસકાંઠા ડીસાના જાબડીયા ગામેથી સામે આવી હતી. જ્યાં પ્રતિબંધ હોવા છતાં લહેરાજી રતનજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગે ભારે ભરખમ ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો અને આ વરઘોડામાં લોકકલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોરે ગાયક તરીકે હાજરી આપી હતી.
બાદમાં DJ પ્રથા ઉલ્લંઘનના આરોપ લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજે એક વર્ષ માટે સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો, જે બાદથી આ બંને કલાકારો ઠાકોર સમાજના આ નિર્ણયનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અને મીડિયા સમક્ષ સમાજ આગેવાનોના આ નિર્ણયની ભારે ટીકા કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ગુજરાતના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર પણ તેમના સમર્થનમાં આવ્યા છે અને એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપતા સમાજના રાજકારણમાં ગરમાવો જામ્યો છે.
Zઆ મામલે કલાકાર વિક્રમ ઠાકોરે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, ગબ્બર ઠાકોરને DJ મુદ્દે નાત બહાર કર્યા એ ખોટું થયું છે. જ્યારે ગાંધીનગરમાં સેક્ટર 11માં ઠાકોર સમાજનું સંમેલન હતું, ત્યારે પણ મેં આ મુદ્દો સમાજના આગેવાનો સમક્ષ રજૂ કર્યો હતો. કારણ કે ગુજરાતમાં ઠાકોર સમાજના સેંકડો લોકોની રોજગારી આ ડીજે પર નિર્ભર કરે છે. જો સમાજના બંધારણ મુજબ DJ પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે તો આ બધાની રોજગારી છીનવાઈ જશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, સમાજના જે આગેવાનોએ આ બંધારણ ઘડ્યું એ લોકોને પણ ખબર નથી કે DJ એટલે શું..! તેઓએ એવો તર્ક રજૂ કર્યો છે કે, DJ વાગતા લોકો દારૂ પીને નાચે-કૂદશે અને ઝઘડાઓ કરશે, પરંતુ આ વાત ખરેખર ખોટી છે. કારણ કે દારૂ પીને નાચવા વાળા અને ઝઘડા કરવા વાળા લોકો તો માત્ર ઢોલના તાલે પણ આવા કૃત્યને અંજામ આપી શકે છે. ઝઘડો કરનારો તો કરવાનો જ છે. જેથી DJ બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે તે વાત ખોટી છે.
સમાજના આ નિર્ણયથી આ નિર્ણયથી બનાસકાંઠામાં DJના કલાકારને ઘરે બેસી ગયા છે. લોકો જમીન ગીરવે મૂકીને DJ લાવ્યા છે અને એક DJ પર 15 કલાકારોની રોજગારી નિર્ભર કરે છે. આ તમામ એ લોકોની રોજગારી છીનવાઈ છે. માટે સમાજે આ બાબતે વિચારવું જોઈએ અથવા તો આ લોકોને રોજગાર આપવી જોઈએ. આગેવાનોએ ભલે DJ બંધ કરાવ્યું હોય, પરંતુ આ નિર્ણયથી સેંકડો લોકોની રોજગારી છીનવાઈ છે. માટે આ લોકો કોઈને કોઈ નોકરી આપો અથવા તો કંઈક ધંધો આપો.
સમાજ આગેવાન સાંસદ ગેનીબેન સહિત અનેક આગેવાનો પર પ્રહાર કરતા વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, DJ પ્રથા પર પ્રતિબંધ લગાવવા વાળા આ આગેવાનો મોટા માણસો છે, તેમને ડીજેની સમજણ નથી અને આ મોટો નિર્ણય લઈ લીધો છે.’ ખાસ ગેનીબેનનું નામ લઈ વિક્રમ ઠાકોરે કહ્યું કે, આ મામલે મેં ગેનીબેનને એક વિનંતી કરી હતી, ત્યારે તેઓએ કહ્યું હતું કે, મેં બંધારણ નથી ઘડ્યું, પરંતુ સ્ટેજ પર બોલ્યા તો તમે જ હતા. જેથી તમારે પણ આ મામલે વિચારવું પડશે. અંતે વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, આપણા વિસ્તારમાં DJ તો બંધ નથી જ થવાનું..! ત્યારે વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ સમાજનું રાજકારણ ગરમાયું છે.

Related Posts

Load more